'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુખ ક્રાંતિકારી રાશ બિહારી બોઝની વિનંતી પર તેમણે તેમની ફરજો ચાલુ રાખી.ભારતીય રાષ્ટ્રીય સરકારની સ્થાપના અને ભારતીય રાષ્ટ્રીય સૈન્યના સુધારણા દરમિયાન તેમની સાથે ખડે પગે ઊભા રહ્યા. તેમને ઇંડિયન નેશનલ આર્મીના પ્રથમ વિભાગના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં સુભાષ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડનો સમાવેશ થતો હતો. નેતાજીના ‘ચલો દિલ્હી’ના આહ્વાનને સાકાર કરવા તેઓ 1944માં બર્મામાં યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા. તેમણે પ્રારંભિક વિજયો દરમિયાન ઇંડિયન નેશનલ આર્મીના સૈનિકોનું નેતૃત્વ કર્યું. જાપાનના નેતાઓ સાથે ચર્ચામાં ભાગ લેવા તેઓ નેતાજી સાથે સપ્ટેમ્બર, 1944માં યુદ્ધ પરિષદના મહાસચિવ તરીકે ટોક્યો ગયા હતા. તે દરમિયાન તેમને મેજર જનરલ તરીકે બઢતી મળી હતી. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારને કારણે ઇંડિયન નેશનલ આર્મીએ પીછેહઠ કરી હતી. તેમણે નેતાજીની જગ્યાએ નેતાજીના નિર્દેશો હેઠળ ઓગસ્ટ, 1945માં ભારતીય રાષ્ટ્રીય સરકારની બાગડોર સંભાળી. બ્રિટિશ સરકારે ટ્રાયલના બહાને તેમની ધરપકડ કરી અને અનેક જેલોમાં નજરકેદ કર્યા. ડિસેમ્બર, 1945 માં, તેમની મુક્તિ પછી, કિયાની દિલ્હી પહોંચ્યા અને ઇંડિયન નેશનલ આર્મીના સૈનિકોના કલ્યાણ માટે કામ કર્યું અને લોકોમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે દેશના વિભાજન દરમિયાન શાંતિ સમિતિઓની સ્થાપના કરી. તેમણે 1979માં ‘India's Freedom Struggle and the Great INA (ભારતનું સ્વતંત્રતા સંગ્રામ અને મહાન આઈએનએ)’ નામનું પુસ્તક લખ્યું હતું. મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાનીએ 1986માં અંતિમ શ્વાસ લીધા હતા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment