મૌલાના મઝહરુલ હક, સમાન હિતો મેળવવા માટે વ્યક્તિગત હિતોનું બલિદાન આપવામાં ભારપૂર્વક માનતા હતા, તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1866 ના રોજ બિહારના પટના જિલ્લાના બરહામપુર ગામમાં થયો હતો. તેઓ કાયદાના અધ્યયન માટે 1888 માં ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ. તેમણે ઈંગ્લેન્ડમાં ‘અંજુમન-એ-ઇસ્લામીઆ’ શરૂ કર્યું, જે ત્યાંના ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સ્થાન બની ગયું. તેઓ 1891 માં ભારત પાછા ફર્યા અને જ્યુડીશ્યલ સેવાઓમાં જોડાયા, પરંતુ 1896 માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છપરામાં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. મૌલાના મઝહરુલ હક સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતા અને લોકો સાથે ગાઢ સંબંધો જાળવતા, અનેક જાહેર પ્રતિનિધિ પદો પર તેઓ ચૂંટાયા.. તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક સચિવ હતા જેની શરૂઆત 1906 માં થઈ હતી. તેમણે તેને કોમવાદથી દૂર રાખવા માટે પ્રયત્નો કર્યા. તેઓ 1908 માં પટના સ્થળાંતર થયા અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો અને લગભગ બે દાયકા સુધી બિહારના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે 1916 માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ વચ્ચે લખનૌ કરારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1916 માં એની બેસન્ટ દ્વારા શરૂ કરાયેલ હોમ રૂલ ચળવળ દરમિયાન, તેમણે બિહારના એકમ અધ્યક્ષ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 1919 માં ખિલાફત અને અસહકાર આંદોલન માટે મહાત્મા ગાંધીએ કરેલા આહવાનનો જવાબ આપ્યો, આંદોલનમાં જોડાયા અને હિન્દુઓ-મુસ્લિમો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી. મહાત્મા ગાંધીથી પ્રભાવિત, તેમણે પણ પટણા નજીક ‘સદાકત આશ્રમ’ (સત્યનું ઘર) નામનો આશ્રમ સ્થાપ્યો અને ફકીર જેવું ખૂબ જ સરળ જીવન જીવ્યું. 1917 અને 1924 માં બિહાર રાજ્યમાં થયેલા કોમી તોફાનો દરમિયાન, તેમણે રાજ્યભરમાં પ્રવાસ કર્યો હતો અને મુસ્લિમ સમુદાયને અપીલ કરી હતી કે એવી હર પ્રવૃત્તિઓથી બચવું જોઈએ કે જે હિન્દુ બિરાદરોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે. તેમને યોગ્ય રીતે ‘હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રણેતા’ તરીકે વર્ણવવામાં આવ્યાં કારણ કે તેમણે આખી જિંદગી બંને સમુદાયો વચ્ચે સુમેળ કરાવવા પાછળ પસાર કરી. તેમણે વર્ષ 1926 માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી. પણ અબુલ કલામ આઝાદ જેવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ તેમને દુર થવા દીધા નહીં. સામાન્ય રીતે ભારતીય રાજકારણ પર અને ખાસ કરીને બિહારના લોકો પર તેમની વિશિષ્ટ શૈલીથી અકબંધ છાપ છોડનારા મૌલાના મુઝહરુલ હકે 2 જાન્યુઆરી, 1930 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment