સૈયદ અલી ઇમામ, જેમણે જાહેર કર્યું હતું કે રાષ્ટ્રની સંપત્તિમાં સમુદાયનો હિસ્સો તે દેશની આઝાદી માટે અપાતા ત્યાગ-બલિદાનના હિસ્સાના પ્રમાણમાં હોવું જોઈએ, તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1869 ના રોજ બિહારના નેઓરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ ઇમદાદ ઇમામ હતું. તે સ્વાતંત્ર્ય સેનાની સૈયદ હસન ઇમામના મોટા ભાઈ હતા. સૈયદ અલી ઇમામ 1887 માં લંડન કાયદાના અભ્યાસ માટે ગયા હતા અને 1890 માં ભારત પાછા ફર્યા હતા. તે ટૂંકા ગાળામાં જ એક પ્રખ્યાત વકીલ બન્યા હતા. તેમની વ્યસ્ત કાનૂની પ્રેક્ટીસ હોવા છતાં, તેઓ લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા, જેના કારણે લોકોમાં લોકપ્રિય હતા અને બિહાર ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 1909 માં તેઓ બંગાળ વિધાન પરિષદમાં સત્તાવાર સભ્ય તરીકે નિયુક્ત થયા. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1908 માં અમૃતસરમાં લીગની સંમેલનની અધ્યક્ષતા કરી હતી. સંમેલનને સંબોધન કરતાં તેમણે કહ્યું: 'પ્રથમ ક્રમના ભારતીય તરીકે સંબોધન કરવું મારા માટે ખુશીની વાત છે.’ અલી ઇમામની 1917 માં પટના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, તેમણે ટૂંકા ગાળા માટે વિશેષ આમંત્રણ પર હૈદરાબાદ નિઝામ રાજ્યમાં મંત્રી તરીકે કામ કર્યું હતું. તે પછી, તેમણે ફરીથી 1920 થી એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી અને પોતાને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સંપૂર્ણ રીતે સામેલ કર્યા. મુસ્લિમ લીગના નેતા તરીકે, તેમણે 1927 માં સાયમન કમિશનના બહિષ્કાર માટેના ઠરાવને આગળ વધાર્યો. તેમણે 1928 માં નહેરુ સમિતિના અહેવાલને સમર્થન આપ્યું. તેમણે કહ્યું હતું કે અલગ મતદાર રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડશે. આમ, તેમણે 1931 માં અખિલ ભારતીય મુસ્લિમ લીગ સંમેલનમાં અલગ મતદારોના વિચારનો વિરોધ કર્યો હતો. તેમણે અલગ મતદારક્ષેત્રો બનાવવા માટે કોમવાદી નેતાઓના વિચારને સંપૂર્ણપણે નકારી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ ભાગલા અને અલગતા દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. તેમણે કહ્યું કે મુસ્લિમોની અસલ મુક્તિ વાસ્તવિક રાષ્ટ્રવાદથી ગૂંથાયેલી હતી. તેમણે મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ સાંપ્રદાયિક રાજકારણમાં ન આવે. અલી ઇમામ એક મહાન વિદ્વાન હતા, જેમણે ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. એક સારા વક્તા પણ હતા. સૈયદ અલી ઇમામની દલીલો અને ભાષણો પોતાના કટ્ટર હરીફોને પણ મંત્રમુગ્ધ કરી દેતા, 17 ઓક્ટોબર, 1932 ના રોજ રાંચીમાં તેમનું નિધન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment