મૌલવી અબ્દુલ રસૂલ, જેમણે બંગાળના ભાગલાનો વિરોધ કરતા આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો, તેમનો જન્મ 1872 માં થયો હતો. તેમના પિતા મૌલવી ગુલામ રસૂલ, બંગાળના જમિંદાર હતા. અબ્દુલ રસૂલ 1889 માં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇંગ્લેન્ડ ગયા, જ્યાંથી તેમણે 1898 માં કાયદાની ડિગ્રી મેળવી. તેઓ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ બંગાળી હતા. તેમણે બંગાળના ભાગલાનો ભારપૂર્વક વિરોધ કર્યો, અને ભાગલા વિરોધી ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો અને લોર્ડ કર્ઝનના અત્યાચાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો. ત્યારથી, તેમણે એક સ્વતંત્રતા સેનાની તરીકે નવું જીવન શરૂ કર્યું. બંગાળના ભાગલાના વિરોધમાં 7 ઓગસ્ટ, 1905 ના રોજ કલકત્તાના ટાઉનહોલ ખાતે મળેલી બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. પાછળથી, તેમણે પોતાનો કાયદાનો વ્યવસાય છોડી દીધો અને પોતાની જાતને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના હેતુ માટે સંપૂર્ણ સમર્પિત કરી દીધી. મૌલવી અબ્દુલ રસૂલે લોર્ડ કર્ઝનના દુષ્કૃત્યોની ટીકા કરતાં આખા બંગાળમાં ઘણી સભાઓનું આયોજન કર્યું હતું. તેમણે લોકોને બંગાળના ભાગલાના વિરોધની જરૂરિયાત વિશે સમજાવ્યું અને હિન્દુ - મુસ્લિમો વચ્ચેના સુમેળભર્યા મૈત્રીપૂર્ણ સંબંધો માટે કામ કર્યું. બ્રિટિશ સરકાર તેમના આ મજબૂત ઝુંબેશને સહન ન કરી શકી અને મૌલવીની ધરપકડ કરી શારિરીક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો. મૌલવી અબુદુલ રસૂલે ટીકા કરી હતી કે બ્રિટિશ શાસકો હિન્દુઓ અને મુસ્લિમોને બંગાળની જેમ વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે તેમને ભોગવેલા હોદ્દાઓ પરથી ડીસમીસ કર્યા અને કેટલીય વાર જેલમાં મોકલી દીધા. અબ્દુલ રસૂલે ઘરેલું માલસામાનના ઉપયોગને પ્રોત્સાહિત કરતી ‘સ્વદેશી નીતિ’ અપનાવી. તેમણે મુસ્લિમોની પ્રગતિ અને વિકાસ માટે ‘બંગાળ મુહંમદન એસોસિએશન’ જેવા અનેક સંગઠનોની સ્થાપના કરી હતી,જેના થકી અબ્દુલ રસૂલ બિનસાંપ્રદાયિક રીતે ધર્મનિરપેક્ષતાની વિચારધારા ફેલાવવાનું કામ કરતા હતા. માર્ચ 1907 માં જ્યારે કોમી રમખાણો થયા, ત્યારે તેમણે તે તમામ સ્થળોની મુલાકાત લીધી અને હિન્દુ - મુસ્લિમોની પરસ્પર સલામતી સુનિશ્ચિત કરવા માટે ‘રાખી બંધન’ કાર્યક્રમની હાકલ કરી. મૌલવી અબ્દુલ રસૂલે પણ 1916 માં એન્ની બેસન્ટ દ્વારા શરૂ કરેલા ‘હોમ રુલ ચળવળ’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને આ ચળવળ પ્રત્યે એટલી હદે લાગણી હતી કે તેઓ પણ ઈચ્છતા હતા કે હોમ રૂલ આંદોલનના પ્રતીકવાળી તેમની કાંડા ઘડિયાળ તેમના શરીર સાથે દફનાવવામાં આવે. છેલ્લી ઇચ્છા જાહેર કર્યા પછી તરત જ સપ્ટેમ્બર 1917 માં મૌલવી અબ્દુલ રસૂલનું અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment