ખિલાફત-અસહકાર આંદોલનનું નેતૃત્વ કરનાર મૌલાના મુહમ્મદઅલી જોહરનો જન્મ 10 ડિસેમ્બર, 1878 ના રોજ થયો હતો. અબ્દુલઅલી અને અબદી બાનો બેગમ તેમના માતાપિતા હતા. મોહમ્મદ અલીએ બી.એ. ડિગ્રી, અલીગઢ અને બી.એ. (ઓનર્સ ) ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારત પાછા ફર્યા પછી, તેમણે ઘણી મહત્વપૂર્ણ નોકરીઓ કરી. અંતે તે એક પત્રકાર તરીકે સ્થાયી થયા. 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગનો પાયો નાંખવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો જયારે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સાથે કામ કરશે ત્યારે જ આપણે આપણા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીશું. અંગ્રેજો સામે લોકોમાં રાજકીય ચેતના લાવવા તેમણે 1911 માં અંગ્રેજી દૈનિક અખબાર ‘ધી કોમરેડ’ અને 1913 માં એક ઉર્દૂ દૈનિક ‘હમદર્દ’ શરૂ કર્યું. બંને દૈનિકોએ કટ્ટર બ્રિટીશ વિરોધી વલણ અપનાવતાં બ્રિટિશ સરકાર દ્વારા તે બંને પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મૌલાનાઅલી અને તેમના ભાઈ મૌલાના શૌકત અલીને 1915 માં ચિંદનવાડા ગામે નજરકેદ કરવામાં આવ્યા હતા. અલી ભાઈઓએ મહાત્મા ગાંધી સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા અને ખિલાફત-અસહકાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. મુહમ્મદ અલી ઇસ્લામિક શાસ્ત્રોમાં પારંગત હતા. તેમણે પવિત્ર કુરાનના ધર્મશાસ્ત્ર અને પયગંબર મોહમ્મદના ઉપદેશોને ટાંકતા બ્રિટીશ સરકાર વિરુદ્ધના ભાષણોથી માત્ર સામાન્ય મુસ્લિમોને જ નહીં પરંતુ ધાર્મિક વિદ્વાનોને પણ પ્રભાવિત કર્યા અને તેમને ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ દોરી ગયા. તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ડિસેમ્બર 1923 માં આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ સ્થાને હતા. તેમણે મુહમ્મદ અલી જિન્નાની દિલ્હી દરખાસ્તોને 1927 માં મદ્રાસ કોંગ્રેસના અધિવેશનમાં મંજૂરી આપી હતી, જે હિન્દુ-મુસ્લિમ સુમેળ માટેના હતા. નહેરુ રિપોર્ટના મુદ્દે, મહાત્મા સાથેના તેમના સંબંધો 1928 માં તંગ બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડી દીધી. તેમની તબિયત ખરાબ હોવા છતાં, 1930 માં લંડનમાં આયોજિત પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં તેમણે ભાગ લીધો હતો. આ પ્રસંગે, તેમણે 3 જાન્યુઆરી 1931 ના રોજ તત્કાલીન બ્રિટીશ વડા પ્રધાનને એક પત્ર લખીને ભારતમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષની વિગતવાર માહિતી આપી હતી. તેમના પત્રમાં તેમણે જાહેર કર્યું: ‘હું મારી માતૃભૂમિ પર પગ ત્યારે જ મુકીશ જયારે મારા દેશને આઝાદ કરનારી ઘોષણા મારા હાથોમાં પહોંચશે.તેમણે કાં તો મારા દેશને આઝાદી આપવી જોઇએ યા મારી કબર માટે બે ગજ જમીન.’ આમ તેઓ દેશની આઝાદી, હિન્દુ-મુસ્લિમ એકતા અને સુમેળ માટે પોતાના જીવનના અંત સુધી લડ્યા. મૌલાના મુહમ્મદ અલી જોહરનું 4 જાન્યુઆરી, 1931 ના રોજ લંડનમાં અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment