હાજી ઉસ્માન શેઠ, જે તેમની ઉદારતા માટે જાણીતા હતા અને ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેશ બેગ’ તરીકે પ્રશંસા મેળવેલ તેમનો જન્મ 1887 માં કર્ણાટક રાજ્યની હાલની રાજધાની બેંગ્લુરુમાં થયો હતો. તેમના પૂર્વજો ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશના હતા અને બેંગ્લોર સ્થાયી થયા હતા. વેપારીઓના શ્રીમંત કુટુંબમાં જન્મેલા, ઉસ્માન તેમના પિતાની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ લેતા હતા, જે તેઓ સારી વ્યવસાયિક કુશળતાથી કરતા. તેઓએ બેંગ્લુરુ શહેરના મધ્યમાં ‘કેશ બઝાર’ નામના એક શોપિંગ સંકુલની સ્થાપના કરી. જ્યારે તેમને ખિલાફત આંદોલન વિશે જાણ થઈ કે તરત તે 1919 માં તેમાં જોડાયા. જ્યારે તે ‘અલી બ્રધર્સ’ અને મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા, ત્યારે તેમણે તેમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લીધો. તેઓ ટૂંક સમયમાં ‘ખિલાફતવાલે’ ઉસ્માન કહેવાયા. તેમણે ગાંધીજીની સલાહથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્યપદ લીધું અને તેમના પ્રખર અનુયાયી બન્યા. હાજી ઉસ્માન શેઠે સ્વદેશી આંદોલનના ભાગ રૂપે લાખો રૂપિયાની કિંમતના પોતાના ‘કેશ બજાર’ સ્ટોર્સમાં તમામ વિદેશી ચીજોની જાહેરમાં હોળી કરી હતી. બ્રિટિશ સરકાર આ વર્તન પર ખીજાઈ અને તેમના વ્યવસાય પર પ્રતિબંધો લગાવ્યા,જેના કારણે તેમને ભારે ખોટ સહન કરવી પડી. ગાંધીજીની સલાહથી હાજી ઉસ્માન શેઠે સરકારી શાળાઓનો બહિષ્કાર કરતા વિદ્યાર્થીઓ માટે 1920 માં બેંગ્લોરમાં ‘સ્વદેશી શાળા’ શરૂ કરી. તેમણે ક્યારેય પોતાના બાળકોને અંગ્રેજી શાળામાં મોકલ્યા નહીં. તેમણે અંતિમ શ્વાસ સુધી ખાદી પહેરી. જ્યારે પણ આર્થિક જરૂર પડે ત્યારે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોરા ચેક આપતા હતા. હાજી ઉસ્માન શેઠે અલી બ્રધર્સ, ગાંધીજી અને જવાહરલાલ નેહરુને કોરા ચેકો અને સોનાના સિક્કા ભરેલી થેલીઓ આપી હતી. એક પછી એક એમના લક્ઝુરિયસ બંગલા વેચીને તેમણે ઉદારતા જાળવી રાખી. એક પ્રસંગે, જ્યારે હાજી ઉસ્માન શેઠ પાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને દાન આપવા માટે પૈસા ન હતા, ત્યારે તેમણે તેમના મોટા પુત્ર ઇબ્રાહિમને જાહેર હરાજીમાં મૂકી દીધા. હાજી ઉસ્માનના એક નિકટના મિત્રએ હરાજીમાં ભાગ લીધો હતો અને હરાજીની બોલી જીતી હતી. તેમણે હરાજીની કુલ આવક તેમજ ઇબ્રાહીમ હાજી ઉસ્માન શેઠને પાછા સોંપ્યા હતા. ત્યારબાદ હાજી ઉસ્માન ખુશીથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને હરાજીની રકમ દાનમાં આપી. હાજી ઉસ્માન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ‘કેશ બેગ’ તેમના અંતિમ શ્વાસ સુધી રહ્યા અને તેમના બાળકો માટે વારસામાં કશું છોડ્યું નહીં. તેમના બાળકોને અમૂલ્ય સંદેશ આપતાં તેમણે કહેલ કે : ‘જો તમારે જીવવું હોય તો ભારત માટે જીવો ... જો તમારે મરવું હોય તો ભારત માટે મરો'. ‘ખિલાફતવાલે’ હાજી ઉસ્માન શેઠનું 1932 માં બેંગ્લુરુમાં નિધન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment