સૈયદ હસન ઇમામ, જેઓ માનતા હતા કે જે લોકો પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવતા નથી, તેઓ સ્વ શાસનના ફળનો યોગ્ય રીતે આનંદ લઈ શકતા નથી, તેમનો જન્મ બિહારના પટણા જિલ્લાના નિયોરા ગામે 31 ઓગસ્ટ, 1871 ના રોજ થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની સૈયદ અલી ઇમામના નાના ભાઈ હતા. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 1889 માં ઇંગ્લેન્ડ ગયા. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા, જે બ્રિટિશ વિરોધી વિચારધારાના હતા. તેમણે તેમની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. તેઓ 1892 માં ભારત પાછા ફર્યા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. 1910 માં તેઓ કલકત્તા શિફ્ટ થઇ ગયા, જ્યાં તેમણે સફળ વકીલ તરીકે ખ્યાતિ મેળવી. 1908 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ સત્રોમાં ભાગ લઈને, સૈયદ હસન ઇમામ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે બિહાર રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી બેઠકમાં અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે વિરોધી રીત-ભાતો અને વ્યવહારથી દૂર રહીને પ્રગતિશીલ વિચારસરણી અપનાવવા અપીલ કરી હતી. ઈમામે મુસ્લિમો માટે અલગ મતદારક્ષેત્રોના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, જે પ્રસ્તાવને 1911 માં અલ્હાબાદમાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી, 1916 થી તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધું. તેમણે પૂર્ણ સમ સ્વતંત્રતા સેનાની તરીકેની જવાબદારીઓ સંભાળી. બોમ્બેમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. હોમ રુલ ચળવળમાં હસન ઇમામની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ ઇચ્છતા હતા. તેમણે વિચાર્યું કે કોંગ્રેસ અને લીગ વચ્ચેના મતભેદો સ્વતંત્રતાના ધ્યેયને અવરોધે છે અને તેથી કોંગ્રેસ-લીગ યોજના માટે પહેલ કરી હતી. સૈયદ હસન ઇમામે 1919 ના રોલેટ એક્ટનો સખ્ત વિરોધ કર્યો હતો અને એક વિશાળ રેલી કાઢી હતી, બ્રિટીશરોને ધ્રુજાવી દીધા. તેમને ઇસ્લામ પ્રત્યે ખૂબ માન હતું, પરંતુ ધાર્મિક કટ્ટરતાનો વિરોધ કર્યો હતો. તેમણે અભિપ્રાય આપ્યો કે સામાન્ય સમસ્યાઓ હલ કરવામાં કોઈ ધાર્મિક દખલ ન થવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના પ્રતિકૂળ વાતાવરણમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અશક્ય બની શકે છે. આમ, તેમણે એકતા અને ધાર્મિક સુમેળની હિમાયત કરી. ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને દેશમાં સામાજિક સુધારણા માટેની ચળવળ બંનેમાં હસન ઇમામે અલગ અલગ ભૂમિકા ભજવી હતી. તેમણે ‘સ્વદેશી લીગ’ ના મહામંત્રી તરીકે આગેવાની કરી, જે સ્વદેશી આંદોલન માટે જન સમર્થન મેળવવા માટે બનાવવામાં આવી હતી. તેમણે તેમના પ્રભાવશાળી ભાષણોથી જનતાને આકર્ષ્યા, જેનાથી બ્રિટીશ સરકાર ચિંતાતુર થઈ ગઈ. તેમના અંતિમ શ્વાસ સુધી ભારતીય રાષ્ટ્રીય ચળવળ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સૈયદ હસન ઇમામનું 19 એપ્રિલ, 1933 ના રોજ નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment