અહિંસક સંઘર્ષમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા મુહમ્મદ યાકુબ હસન શેઠનો જન્મ જૂન 1875 માં નાગાપુરમાં એક સમૃદ્ધ બિઝનેસમેન પરિવારમાં થયો હતો. તેમણે અલીગઢની મોહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને વ્યવસાય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે બેંગ્લોર જવા રવાના થયા અને 1901 માં મદ્રાસ પહોંચ્યા, જ્યાં તેઓ સ્થાયી થયા.પોતાનો વ્યવસાય કરી રહ્યા હોવા છતાં લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા.મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા. 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગમાં જોડાયા અને મદ્રાસમાં તે પાર્ટીમાં ઘણા હોદ્દાઓ પર જવાબદારી સંભાળી હતી. તેમણે દક્ષિણ ભારતમાં મુસ્લિમ લીગના વિસ્તરણ માટે કામ કર્યું. 1906 માં તેમણે અંગ્રેજી સાપ્તાહિક ‘મુસ્લિમ પેટ્રિઅટ’ અને ઉર્દૂ સાપ્તાહિક ‘કૌમી હલચલ’ની શરૂઆત કરી અને લગભગ બે વર્ષ સુધી તે સામયિકોને વિક્ષેપ વગર પ્રકાશિત કર્યા. જ્યારે તેમને કેદ કરવામાં આવ્યા ત્યારે, જેલમાં તેમણે કુરાન વિશે એક લેખ લખ્યો, જે હૈદરાબાદના નિઝામની આર્થિક સહાયથી પ્રકાશિત કરવામાં આવ્યો. તેમણે સરકારમાં અને સેનામાં મુખ્ય પદ પર ભારતીયોના કાયદેસર પ્રતિનિધિત્વની માંગ કરી. જ્યારે 1915 માં મહાત્મા ગાંધી મદ્રાસની મુલાકાતે આવ્યા ત્યારે યાકુબ હસન તેમને મળ્યા અને તેમનાથી પ્રભાવિત થયા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું અને જ્યારે પણ મહાત્મા ગાંધી મદ્રાસની મુલાકાત લેતા ત્યારે સક્રિય ભૂમિકા ભજવતા. તેમણે લખનઉ કરારને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા માન્યતા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 1919માં ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. મહાત્માના આહવાનને પગલે તેમણે તમામ સત્તાવાર હોદ્દા છોડી દીધા હતા. તેઓ બ્રિટીશ સરકારનું ધ્યાન દોરવા માટે ખિલાફત પ્રતિનિધિ મંડળ સાથે લંડન ગયા હતા. બ્રિટિશ સરકારના આદેશોને નકારી કાઢીને, તે મલબાર ગયા, જ્યાં તેમણે 1921 ના વર્ષમાં હિન્દુઓ અને મુસ્લિમોમાં અહિંસા અને સાંપ્રદાયિક સુમેળ માટે અભિયાન ચલાવ્યું. પરિણામે, તેમને છ મહિનાની કેદ કરવામાં આવી. તેમણે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રાદેશિક પરિષદમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે બ્રિટીશ સરકારની ટીકા કરી હતી, જેના માટે તેઓને બે વર્ષ માટે ફરીથી જેલમાં રાખવામાં આવ્યા હતા. તે 1929 માં મદ્રાસ વિધાન પરિષદમાં ચૂંટાયા અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેમાં જુદા જુદા હોદ્દાઓ સંભાળ્યા. બાદમાં, તે અવિભાજિત મદ્રાસ પ્રાંતના ચિત્તૂર મત વિસ્તારમાંથી ચૂંટાયા અને 1937-39 દરમિયાન રાજગોપાલાચારીના મંત્રીમંડળમાં પ્રધાન તરીકે કામ કર્યું. તેમણે શરૂઆતથી જ ભારતના ભાગલાના વિચારનો સખત વિરોધ કર્યો હતો. મુહમ્મદ યાકુબ હસન શેઠનું 23 માર્ચ, 1940 ના રોજ નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment