અલ્લામા મુહમ્મદ ઇકબાલ,જાણીતા કવિ, જેમણે સુવિખ્યાત જાણીતું ઉર્દૂ ગીત ‘સારે જહાંસે અચ્છા ... હિન્દુસ્તાન હમારા’ લખ્યું છે, તેમનો જન્મ 9 નવેમ્બર, 1877 માં પંજાબ પ્રાંતના સિયાલકોટમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમણે તે દિવસના પ્રખ્યાત વિદ્વાનો પાસેથી ઇસ્લામિક ધર્મગ્રંથો શીખ્યા અને લાહોરમાં ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તેમણે 1899 માં ફિલોસોફીમાં એમ.એ. કર્યું અને લેક્ચરર તરીકે કામ કર્યું. તેમણે 1904 માં ‘સારે જહાંસે અચ્છા’ ગીત લખ્યું હતું, જે 16 ઓગસ્ટ, 1904 ના ઉર્દૂ મેગેઝિન ઇત્તેહાદમાં પ્રકાશિત થયું હતું, જે ગીતે તેમને આખા દેશમાં ખ્યાતિ અપાવી હતી. તે 1923 માં તરાના-એ-હિંદી શીર્ષક હેઠળ કાવ્યસંગ્રહ બંગ-એ-દારામાં પણ ફરીથી પ્રકાશિત થયું હતું. ઇકબાલ ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગયા હતા. તેમણે કાયદામાં ડિગ્રી માટે અભ્યાસ કર્યો અને પીએચ.ડી. કરી. તેમણે 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની લંડન શાખામાં સભ્યપદ લીધું હતું અને સ્વદેશી આંદોલનને ટેકો આપ્યો હતો. તેઓ 1908 માં પાછા ભારત આવ્યા અને એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. પરંતુ, તેમણે કાનૂની પ્રેક્ટીસમાં વધારે રસ આપ્યો ન હતો. ઇંગ્લેંડથી પરત ફર્યા પછી, તેઓ આધ્યાત્મિક રીતે મુસ્લિમોને પડતી સમસ્યાઓનું નિરાકરણ શોધવામાં ઉત્સુક હતા. તેમણે મુખ્યત્વે ઉર્દૂ કરતાં ફારસીમાં તેમની ફિલસૂફી લખી અને એક ફિલોસોફર - કવિ તરીકેની ખ્યાતિ મેળવી. તેઓ સર સૈયદ અહેમદ ખાનથી પ્રભાવિત હતા અને મુસ્લિમોને શિક્ષિત કરવામાં રસ લેતા હતા. તેઓ રાજકારણમાં પણ માર્ગદર્શન આપી રહ્યા હતા અને 1926 માં યોજાયેલી મુસ્લિમ લીગ સંમેલનમાં મુસ્લિમોના પછાતપણાની ચેતવણી પર ભાર મુક્યો હતો. 1926 માં તેઓ પંજાબ વિધાનસભામાં સભ્ય બન્યા હતા. તેમણે 1930 માં અલ્હાબાદ ખાતે મુસ્લિમ લીગ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી,જ્યાં તેમનું ભાષણ વિવાદસ્પદ બન્યું. લીગના એક જૂથે દાવો કર્યો હતો કે ઇકબાલ પાકિસ્તાનની રચના ઇચ્છે છે, પરંતુ બીજા જૂથે સંતોષ વ્યક્ત કર્યો હતો કે તે ફક્ત મુસ્લિમો માટે જ અલગ રાજ્ય ઇચ્છે છે જ્યાં તેમની વસ્તી વધારે છે. પરંતુ, તેમણે પછી સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનની રચના તેમની મહત્વાકાંક્ષા નથી. તેમણે મુસ્લિમ લીગના પ્રતિનિધિ તરીકે 1931-32માં લંડનમાં યોજાયેલી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. રાજકારણમાં સક્રિયપણે ભાગ લેતી વખતે, તેમણે ઉર્દૂ અને પર્સિયનમાં એક ઉત્તમ સાહિત્ય બનાવ્યું, જેના માટે તેમને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ. અલ્લામા ઇકબાલના પુસ્તકોનું ઘણી અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસોમાં તેઓ બીમાર પડ્યા હતા, તેમ છતાં તેમણે સાથી મુસ્લિમોના કલ્યાણ અને સાહિત્ય બનાવવા માટે પોતાનું મિશન ક્યારેય છોડ્યું નહીં. છેવટે અલ્લામા મુહમ્મદ ઇકબાલનું 21 એપ્રિલ 1938 ના રોજ લાહોરમાં નિધન થયું હતું..
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment