ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888 ના રોજ મક્કામાં થયો હતો. તેમના પિતાનું નામ મૌલાના ખૈરૂદ્દીન અને માતાનું નામ આલિયા હતું. આઝાદનું મૂળ નામ અબુલ કલામ મોહિદ્દીન ખૈરુદ્દીન હતું. તે અરબી, ફારસી, ટર્કીશ અને ઉર્દૂ ભાષાઓના મોટા વિદ્વાન હતા. તેમણે બાર વર્ષની નાની વયે ‘નૈરંગ-એ-આલમ’ મેગેઝિન શરૂ કર્યું. તેર વર્ષની ઉંમરે, તેમણે સાહિત્યિક ટીકા પર લેખો લખ્યા, જેના માટે તેઓ એક મોટાગજાના વિદ્વાન, કવિ અને બૌદ્ધિક તરીકે વખાણાયા. તેમણે 1904 માં અખિલ ભારતીય મુસ્લિમ શૈક્ષણિક પરિષદ અને અખિલ ભારતીય મુસ્લિમ સંપાદકોના સંમેલનમાં ભાગ લીધો હતો.શરૂઆતના દિવસોમાં તેમને મુસ્લિમ લીગની વિચારધારા ગમતી. તેમનો અભિપ્રાય હતો કે વિદેશી શાસકોને હરાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ એકમાત્ર સમાધાન છે. તે સમયગાળા દરમિયાન, તેમણે પોતાની વિવિધ ક્રાંતિકારી સંસ્થાઓ શરૂ કરી. પરંતુ, તેમણે પહેલી વાર મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી ત્યારે 1920 જાન્યુઆરીથી તેમણે પોતાનો ક્રાંતિકારી માર્ગ છોડી દીધો. ત્યારથી, તેમણે અહિંસા આંદોલનને ટેકો આપ્યો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ખૂબ સક્રિયપણે ભાગ લઈ રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. વિદેશી શાસન સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે ઘણાં વિશિષ્ટ પુસ્તકો લખ્યા અને ‘અલ હિલાલ’, ‘અલ બલાગ’ અને અન્ય અખબારો જેવા અનેક ઉર્દૂ સામયિકો પ્રકાશિત કર્યા. તેમની ઇચ્છા ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે માહિતી આપવાની અને લોકોને બ્રિટીશરો સામે લડવાની પ્રેરણા આપવાની હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમના સામયિકો પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, તેમણે 10 વર્ષ અને સાત મહિના સુધી દેશની જુદી જુદી જેલોમાં પોતાનું જીવન પસાર કર્યું. તેમણે 1923 માં દિલ્હીમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કરી, જ્યારે તે માત્ર 35 વર્ષના હતા. તેમણે 1927 માં મુસ્લિમ લીગ અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ વચ્ચેના કરારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ 1939 માં ફરી એકવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને 1948 સુધી તે પદ પર રહ્યા. તેમણે અલગતાવાદી વિચારધારાનો સખત વિરોધ કર્યો અને જાહેર કર્યું કે રાષ્ટ્રની સ્વતંત્રતા કરતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા વધુ મહત્વની હતી. આઝાદી પછી, તેઓ પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા અને શૈક્ષણિક ક્ષેત્રે રચનાત્મક કાર્યક્રમો અને યોજનાઓ લાગુ કરી. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અને સ્વતંત્ર પછીના યુગમાં પણ, મૌલાના અબુલ કલામ આઝાદ જીવ્યા ત્યાં સુધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળની ઇચ્છા રાખતા હતા.22 ફેબ્રુઆરી, 1958 ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment