મુહમ્મદ અબ્દુલ રેહમાન સાહેબનો જન્મ 1898 માં કેરળના કાનમગનોર નજીક અઝિકોડ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અબ્દુલ રેહમન સાહેબ અને માતાનું નામ ઐસુંમ્મા હતું. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ભાગ લેવા મહાત્મા ગાંધીએ આપેલા આહવાનના જવાબમાં 1920 માં તેમનો કોલેજ અભ્યાસ છોડી દીધો હતો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 'ધ હિન્દુ' ડેઇલી ન્યૂઝ પેપરમાં બ્રિટીશ સરકારની લોકવિરોધી નીતિઓની ટીકા કરતા નિબંધ લખ્યા હતા, જેના માટે તેમને વેલોર જેલમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેમણે પોતાની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી હતી. બ્રિટીશ શાસનના જુલમ સામે લોકોના અભિપ્રાયને ઢાળવા માટે તેમણે 1928 માં એક મેગેઝિન ‘અલ-અમીન’ શરૂ કર્યું. પરંતુ 1939 માં બ્રિટિશ વિરોધી સ્ટેન્ડને કારણે મેગેઝિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે કેરળ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિએ 1930 માં મીઠાના સત્યાગ્રહની ઘોષણા કરી, ત્યારે તેઓ આંદોલનમાં કૂદી પડ્યા, જેના માટે તેમને 9 મહિનાની જેલની સજા કરવામાં આવી. મીઠાના સત્યાગ્રહ દરમિયાન બ્રિટિશ પોલીસ દ્વારા તેમના પર નિર્દયતાથી ત્રાસ આપવામાં આવ્યો હતો. બ્રિટિશ પોલીસ દ્વારા મારના કારણે પડેલા ઘામાંથી તેમને સ્વસ્થ થવામાં લાંબો સમય લાગ્યો. લોકપ્રિય નેતા તરીકે પ્રશંસા મેળવતાં, તે 1931 માં કાલિકટ પાલિકામાં ચૂંટાયા. જો કે 1934 માં સેન્ટ્રલ એસેમ્બલીની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો, તેમ છતાં, તે 1937 માં યોજાયેલી મદ્રાસની વિધાનસભાની ચૂંટણીમાં સરળતાથી જીતી શક્યા હતા. મુહમ્મદ અબ્દુલ રેહમાન માત્ર રાજકારણી જ ન હતા, પણ પ્રતિબદ્ધ સમાજ સુધારક જે અંધશ્રદ્ધા, અતાર્કિક રિવાજો અને પરંપરાઓ સામે લડ્યા. તેમણે મહાત્માએ આપેલા આહવાનના જવાબમાં દલિતોના વિકાસ અને દલિતોના મંદિરોમાં પ્રવેશ માટે સફળતાપૂર્વક અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમ છતાં તેમણે 1939 માં કોંગ્રેસ છોડી દીધી હતી અને ‘કેરળ ફોરવર્ડ બ્લોક’ ની રચના કરી હતી, તેમણે ક્યારેય ભારતીય રાષ્ટ્રીય ચળવળથી પોતાને દૂર રાખ્યા નહોતા. બ્રિટિશ સરકારે તેમને 1940 માં રાજદ્રોહના આરોપ હેઠળ કેદ કર્યા, અને સપ્ટેમ્બર 1945 માં છોડ્યા. પાછળથી, તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગને ટેકો આપ્યો અને એક બિનસાંપ્રદાયિક નેતા તરીકેની ઓળખ મેળવી. તે શ્રીમંત પરિવારમાંથી હતા અને તેમણે પોતાની બધી સંપત્તિ ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે ખર્ચ કરી હતી. બ્રિટિશરોના ચુન્ગલમાંથી માતૃભૂમિની મુક્તિ માટે લડનારા અને તેમના અંતિમ સમય સુધી સાથી લોકોના કલ્યાણ માટે અવિરત કાર્ય કરનાર મુહમ્મદ અબ્દુલ રેહમાન સાહેબ 22 નવેમ્બર 1945ના રોજ અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment