અબ્દુલ મજીદ ખ્વાજા, જેઓ જીવનભર મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલ્યા, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક શ્રીમંત સમૃદ્ધ પરિવારમાં 1885 માં થયો હતો. તેમના પિતા ખ્વાજા મુહમ્મદ યુસુફ પ્રખ્યાત વકીલ હતા અને માતાનું નામ બેગમઅખ્તર સર્બુલંદ જંગ હતું. યુસુફ આધુનિક શિક્ષણના શોખીન હોવાથી, તેમણે તેમના બાળકોને ઘરે આધ્યાત્મિક શિક્ષણની સાથે સાથે આધુનિક શિક્ષણ અપાવ્યું.અબ્દુલ મજીદ 1906 માં ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજ ગયા. ત્યાં મજીદ મહાત્મા ગાંધીને મળ્યા, જેઓ તે સમયે દક્ષિણ આફ્રિકામાં આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારથી, તેઓ મહાત્મા ગાંધીના ખૂબ જ વફાદાર અનુયાયી બન્યા. તે 1910 માં અલીગઢ પાછા ફર્યા, જ્યાં તેમણે પોતાની કાનૂની પ્રેક્ટીસ શરૂ કરી અને અલીગઢના પ્રખ્યાત વકીલોમાંના એક બન્યા. અબ્દુલ મજીદ ખ્વાજાના લગ્ન બેગમ ખુર્શીદ સાથે થયા હતા, જે ભારતીય રાષ્ટ્રીય ચળવળના ખૂબ જ સક્રિય નેતા હતા. અબ્દુલ મજીદ ખ્વાજા અને તેમની પત્ની બેગમ ખુર્શીદ ખ્વાજા બંનેએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો. મહાત્મા ગાંધીએ કરેલા આહવાનના પ્રત્યુત્તરમાં, અબ્દુલ મજીદે 1919 માં શરૂ થયેલી ખિલાફત અને અસહકાર આંદોલનમાં ભાગ લેવા હિમાયતી તરીકેની તેમની આકર્ષક પ્રેક્ટીસ છોડી દીધી હતી. તેઓની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિનાના સમયગાળા માટે કેદ કરવામાં આવ્યા હતા. તેમણે જામિયા મીલીયા ઇસ્લામિયા (નેશનલ કોલેજ) ની સ્થાપનામાં પણ સક્રિય ભૂમિકા ભજવી, જેની સ્થાપના રાષ્ટ્રીય ચળવળ દરમિયાન થઈ હતી. રાષ્ટ્રીય ચળવળ દરમિયાન કોલેજોનો બહિષ્કાર કરનારા વિદ્યાર્થીઓના કલ્યાણ માટે અને કોલેજોની સ્થિરતા અને વિકાસ માટે તેમણે 1925 સુધી અનેક પગલાં લીધાં હતાં. અબ્દુલ મજીદ ખ્વાજાએ તેમની ખરાબ તબિયત અને પારિવારિક સમસ્યાઓના કારણે ફરીથી 1926 માં કાયદાકીય પ્રેક્ટીસ શરૂ કરી હતી.ત્યારથી, તેઓ 1943 સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમણે 1940 પછી મુસ્લિમ લીગના વિભાજનકારી રાજકારણનો વિરોધ કર્યો હતો અને 1943 માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ડો.ઝાકિર હુસેનની વિનંતી પર તેમણે 1936 માં નેશનલ કોલેજના ઉપ કુલપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી.બાદમાં, તેના કુલપતિ તરીકે બઢતી મેળવી અને 1962 સુધી તે પદ પર ચાલુ રહ્યા. અબ્દુલ મજીદ ખ્વાજાએ ઓલ ઇંડિયા મુસ્લિમ મજલિસ શરૂ કરી. દ્વિ રાષ્ટ્રના સિદ્ધાંત અને લીગના વિભાજનકારી રાજકારણ સામે અભિયાન ચલાવ્યું. તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળ સુનિશ્ચિત કરવા માટે ઉદાર ઇસ્લામવાદ અને ધર્મનિરપેક્ષતાનો પ્રચાર કર્યો. પરંતુ રાષ્ટ્રના ભાગલા અને મહાત્મા ગાંધીની હત્યા પછી તેઓ હતાશ હતા અને રાજકારણથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા. તેમ છતાં તેમના સાથીઓ આઝાદી પછી ટોચના હોદ્દા પર હતા, પરંતુ તેઓએ તેમની પાસેથી કોઈ તરફેણ કરવાની ઇચ્છા ક્યારેય કરી ન હતી. અંત સુધી ખૂબ જ સરળ જીવન જીવતા અબ્દુલ મજીદ ખ્વાજાએ 2 ડિસેમ્બર, 1962 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment