મૌલાના સઈદ એહમદ, જેમણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી પેન્શનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો,કેમકે એમના માનવા મુજબ દેશની આઝાદી માટે લડવાની તેમની આધ્યાત્મિક ફરજ હતી, તેમનો જન્મ 1888 માં દિલ્હી નજીક શાહજહાંનાબાદમાં થયો હતો. તેમણે નાનપણથી જ બ્રિટીશ શાસનની ગુલામીનો વિરોધ કર્યો હતો. તેમણે પોતાની જાતને ઉર્દૂ સાહિત્યના ક્ષેત્રમાં માત્ર એક સારા લેખક અને કવિ જ નહીં, પણ પ્રેરણાદાયી જાહેર વક્તા તરીકે પણ સાબિત કર્યા. મૌલાના સઈદ અહેમદે ‘વલી ઇલાહી’ આંદોલન દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં પ્રવેશ કર્યો, જે ભારતના સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ પછી બ્રિટીશરોના અનંત અત્યાચારના વિરોધમાં ઉભરી આવ્યું. મૌલાના સઈદ અહેમદે ભારતને આઝાદી મળે ત્યાં સુધી સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખિલાફત આંદોલન સહિત લગભગ તમામ ચળવળો અને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમને 1921 માં પહેલી વાર એક વર્ષ માટે જેલ થઇ હતી. ત્યારબાદ ફરીથી તેમને 1930 માં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યા, 1932 અને 1940 માં એક-એક વર્ષ માટે. વિદેશી શાસકો પ્રત્યેના તેમના બિનસમાધાનકારી વલણને કારણે, મૌલાના સઈદ અહેમદને ફરીથી 1942 માં ત્રણ વર્ષ માટે કેદ કરવામાં આવ્યા અને તેમણે એકાંત ઓરડીમાં સમય પસાર કરવો પડ્યો. લાંબા સમય સુધી કારાવાસને કારણે મૌલાના સઈદ એહમ્મદને તેમની કાવ્ય કુશળતા વિકસાવવામાં મદદ મળી. તેમણે પોતાની આ કવિતા તેમના તખલ્લુસ ‘આસિર’ સાથે લખી. મૌલાના સઈદ અહેમદે, જોકે મૂળભૂત રીતે અહિંસામાં વિશ્વાસ કરતા હતા, લોકોને જરૂર પડ્યે સશસ્ત્ર લડત માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી. તેમણે રાજનીતિમાં ધર્મની દખલનો સખત વિરોધ કર્યો. અને, તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના વિભાજનકારી કોમી રાજનીતિનો સખત વિરોધ કર્યો. મૌલાના સઈદ અહેમદે તો રાષ્ટ્રના વિભાજન માટે મોહમ્મદ અલી ઝીણાની સાથે જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઇ પટેલને પણ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે દેશમાં ભાગલા થયા પછી ગભરાઈ ગયેલા લોકોમાં વિશ્વાસ ઊભો કરવા બેઠકો અને પરિષદોનું આયોજન કર્યું હતું. ભારતના ભાગલા વખતે કોમી રમખાણો ફાટી નીકળ્યા પછી ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ત્યારે મૌલાના અહેમદ સઇદે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મૌલાના સઇદે સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ લાલ કિલ્લામાં મુશાયરો યોજ્યો. મૌલાના અહેમદે શરૂ કરેલી મુશાયરાની પરંપરા દર વર્ષે લાલ કિલ્લા પર પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ચાલુ છે. મૌલાના સઈદ અહેમદ, જે એક મહાન કવિ, પ્રેરણાદાયક વક્તા અને પ્રતિબદ્ધ સ્વાતંત્ર્ય સેનાની હતા, 4 ડિસેમ્બર, 1959 ના રોજ અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment