મૌલાના હબીબ-ઉર-રેહમાન લુધિયાનવી, જેમણે ‘ઇસ્લામ ખતરામાં છે’ સ્લોગન પાછળ છુપાયેલા સ્વાર્થી ઉદ્દેશ્યોનો પર્દાફાશ કર્યો હતો, તેમનો જન્મ 3 જુલાઈ, 1892 માં પંજાબના લુધિયાણામાં થયો હતો. તેમણે મૌલાના અબ્દુલ અઝીઝની પુત્રી બીબી શફતુંન્નીસા સાથે લગ્ન કર્યાં. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, ખિલાફત અને અસહકાર આંદોલનમાં પ્રવેશ કર્યો. બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળવો કરવાની લોકોને અપીલ કરતા તેમના પ્રેરણાદાયી ભાષણ માટે પહેલી વાર 1 ડિસેમ્બર, 1921 ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારથી, તેમણે કેટલીય વાર કેદનો સામનો કરવો પડ્યો હતો અને લગભગ 14 વર્ષ દેશની જુદી જુદી જેલોમાં ગાળ્યા. તેમના સગાઓને પણ કેદની સજા ભોગવવી પડી, કેમ કે તેઓએ પણ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો હતો. બ્રિટિશ પોલીસ દ્વારા તેમના પરિવાર પર કરાયેલા ક્રૂર દમન કરવા છતાં તેમની પત્ની શફતુંન્નિસા બીબી, જે એક સ્વાતંત્ર્ય સેનાની પણ હતાં, તેમને ટેકો આપ્યો હતો. જમિયત-ઉલ-ઉલેમા-એ-હિંદમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા લુધિયાનવીએ 1920 માં મૌલાના અબુલ કલામ આઝાદની સલાહથી મજલિસ-એ-અહરાર (સ્વતંત્ર માણસોની સોસાયટી) ની શરૂઆત કરી. ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા પછી, કોઈ પણ તેમના પરિવારના સભ્યોને બ્રિટીશરોના દમનના ડરથી આશરો આપવા આગળ આવ્યું ન હતું. મૌલાના લુધિયાનવીએ લગભગ એક મહિના સુધી ભગતસિંહના પરિવારના સભ્યોને આશ્રય આપ્યો હતો. તેમણે 1931 માં શાહી જામા મસ્જિદ નજીક લગભગ ત્રણસો બ્રિટીશ અધિકારીઓ અને પોલીસની હાજરીમાં ભારતીય ધ્વજને લહેરાવ્યો, જેના માટે તેમની ધરપકડ કરવામાં આવી. જ્યારે બ્રિટિશ અધિકારીઓએ લુધિયાણા રેલ્વે સ્ટેશન પર હિન્દુઓ અને મુસ્લિમો માટે જુદા જુદા પાણીના વાસણો ગોઠવ્યા હતા, ત્યારે તેમણે હિન્દુ, મુસ્લિમ અને શીખ કાર્યકરોની મદદથી તેને તોડી નાખ્યો હતો, જેના માટે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.1947 માં રાષ્ટ્રનું વિભાજન થયું ત્યારે, તેમણે પ્રતિકૂળ વાતાવરણને કારણે પોતાના મિત્રોની સલાહથી લુધિયાણા છોડી દીધું અને દિલ્હી ખાતેના શરણાર્થી કેમ્પમાં આશરો લીધો. આનાથી લુધિયાનવી દંપતીમાં ગંભીર માનસિક આઘાત સર્જાયો હતો.તેઓને પાકિસ્તાન જવા માટે સલાહ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓએ આ સલાહને નકારી કાઢી અને તેઓ પાછા પોતાના વતન લુધિયાણામાં રહ્યા, અને તેઓને કડવા અનુભવોનો સામનો કરવો પડ્યો. મૌલાના હબીબ-ઉર-રેહમાન લુધિયાનવી, જેઓ તેમની અંતિમ ક્ષણ સુધી લોકોની સ્વતંત્રતાના હેતુ માટે પ્રતિબદ્ધ હતા, 2 સપ્ટેમ્બર, 1956 ના રોજ અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ ( લેખક : ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment