શબ્બીર હસન ખાન મલિહાબાદી, જેમણે પોતાની સાહિત્યિક કુશળતાથી બ્રિટિશ શાસકો પર હુમલો કરીને ક્રાંતિકારી કવિ તરીકે ખ્યાતિ મેળવી હતી, તેમનો જન્મ 5 ડિસેમ્બર, 1894ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના મલિહાબાદમાં થયો હતો. તેમણે આગ્રા અને શાંતિ નિકેતનમાં શિક્ષણ મેળવ્યું. પરંતુ 1914 માં તેમના પિતાના આકસ્મિક અવસાનને કારણે તેમણે તેમનો અભ્યાસ બંધ કરવો પડ્યો. તેમણે સ્વ-અભ્યાસ દ્વારા અરબી, ફારસી, ઉર્દૂ અને અંગ્રેજી શીખ્યા. તેમને તેમના દાદા અને પિતા બશીર અહેમદ ખાનની કાવ્યાત્મક પ્રતિભા વારસામાં મળી હતી. તેમણે પ્રખ્યાત કવિ વહિદુદ્દીન સલીમ પાણીપતિના માર્ગદર્શન હેઠળ કવિતા લખવાનું શરૂ કર્યું. હસનની કવિતાઓ ભાવનાત્મક અને હૃદય સ્પર્શી હતી. તેમનું મૂળ ગામ મલિહાબાદ હોવાથી એક કવિ તરીકે તેઓ ‘શબ્બીર હસન ખાન જોશ મલિહાબાદી’ તરીકે પ્રખ્યાત થયા. તેમનો પહેલો કાવ્યસંગ્રહ 'રુહ-એ-આદાબ' 1920માં બહાર પડયો હતો. તેમણે 1924-34 દરમિયાન નિઝામ રાજ્યના અનુવાદ વિભાગમાં કામ કર્યું હતું. પરંતુ તેમણે અંગ્રેજ શાસકો સાથે નિઝામ નવાબની મિત્રતાનો વિરોધ કર્યો અને નોકરી છોડી દીધી. તેમણે 1935 માં એક ઉર્દૂ સાહિત્યિક સામયિક ‘કલીમ’ શરૂ કર્યું. તેમણે બ્રિટિશ સરકારના અત્યાચારોની ટીકા કરતા અને અંગ્રેજોના કુશાસન હેઠળ લોકોની મુશ્કેલીઓનું વર્ણન કરતા લેખો અને કવિતાઓ પ્રકાશિત કરી. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામને ખુલ્લેઆમ ટેકો આપ્યો અને લોકોને આંદોલન તરફ પ્રોત્સાહિત કર્યા. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપવા માટે ‘ઈન ધ નેમ ઓફ ધ સન્સ ઓફ ઈસ્ટ ઈન્ડિયા કંપની’, ‘રિવોલ્ટ(વિદ્રોહ)’, ‘ધ બ્રોકન વોલ્સ ઓફ ધ જેલ(જેલની તૂટેલી દિવાલો)’, ‘ડ્રીમ્સ ઓફ ડીફિટેડ પ્રીજનર્સ(પરાજિત કેદીઓના સપના)’ જેવી અનેક કવિતાઓ લખી. બ્રિટિશ સરકાર તેમના ક્રાંતિકારી લખાણોથી નારાજ હતી. તેમના લખાણોએ તેમને લોકોમાં 'ક્રાંતિકારી કવિ' તરીકે ખ્યાતિ અપાવી. 1947 માં દેશના વિભાજન પછી, તેમના મિત્રો દ્વારા તેમના પર દબાણ હોવા છતાં તેમણે ભારત છોડ્યું ન હતું. તેમણે 1948-55 દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રકાશિત થતા 'આજકલ' ઉર્દૂ દૈનિક સમાચાર પત્રના સંપાદક તરીકે કામ કર્યું. તેમણે અનેક હિન્દી ફિલ્મોના ગીતો પણ લખ્યા છે.ઉર્દૂ ભાષા સાથે કોઈ ન્યાય કરવામાં નહીં આવે એ ભાવના સાથે, તેમણે જવાહરલાલ નેહરુ અને અન્ય નજીકના મિત્રો દ્વારા કરવામાં આવેલી વિનંતીને નકારીને, 1956 માં પાકિસ્તાન સ્થળાંતર કર્યું. હસન ખાન મલિહાબાદીએ કરાંચીથી પણ ઉર્દૂ ચળવળનું સક્રિય નેતૃત્વ કર્યું હતું. તેમની ઓટો બાયોગ્રાફી ‘યાદો કી બારાત’ને વાચકોએ ખુબ વખાણી હતી.ભાષા અને સાહિત્યક્ષેત્રમાં તેમની ઉત્તમ વિદ્વતાપૂર્ણ કુશળતા માટે તેમને 'ઉર્દૂના રાજા' તરીકે ખ્યાતિ મળી. તેમણે કુલ 27 કાવ્યસંગ્રહો બહાર પાડ્યા. પાકિસ્તાનમાં સ્થાનિક રાજકારણના કારણે તેમને ત્યાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, કવિ તરીકે લોકો માટે પ્રતિબદ્ધ શબ્બીર હસન ખાન મલિહાબાદીએ 22 ફેબ્રુઆરી, 1982ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment