બીબી અમાતુસ સલામ, જેઓ દ્રઢપણે માનતા હતા કે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા જ મેળવી શકાય છે, તેણીનો જન્મ 1907માં પંજાબના પટિયાલામાં રાજપૂતાના પરિવારમાં થયો હતો. તેમના પિતા કર્નલ અબ્દુલ હમીદ અને માતા અમાતુર રહેમાન હતા. અમાતુસ સલામ છ મોટા ભાઈઓની નાની બહેન હતી. બાળપણથી જ તેણીની તબિયત નાજુક રેહતી. તેણી તેના મોટા ભાઈ સ્વતંત્રતા સેનાની મુહમ્મદ અબ્દુર રશીદ ખાનથી પ્રેરિત હતી. તેણીના ભાઈના પગલે ચાલીને તેણીએ દેશના લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. અમાતુસ સલામે ખાદી ચળવળમાં ભાગ લીધો અને ભાઈ સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળની બેઠકોમાં હાજરી આપી. તેણી મહાત્મા ગાંધી અને સેવાગ્રામ આશ્રમના અહિંસાના સિદ્ધાંત તરફ આકર્ષાઈ હતી. તેણીએ સેવાગ્રામ આશ્રમમાં જોડાવાનું નક્કી કર્યું, અને 1931 માં ત્યાં ગઈ. તેણી આશ્રમમાં જોડાઈ અને આશ્રમના કડક સિદ્ધાંતોનું પાલન કર્યું. નિઃસ્વાર્થ સેવાથી તેણી ગાંધી દંપતીની ખૂબ નજીક બની ગઈ. તેઓ અમાતુસ સલામને પોતાની વહાલી દીકરી માનતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, 1932માં ગાંધીજીની પરવાનગીથી માંદગી હોવા છતાં તેણી અન્ય મહિલાઓ સાથે જેલમાં ગઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ સેવાગ્રામ પહોંચી અને ગાંધીજીના અંગત મદદનીશ તરીકેની જવાબદારીઓ સંભાળી. તેણીએ કહ્યું કે સ્વતંત્રતા હાંસલ કરવા ઉપરાંત, હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા, હરિજન અને મહિલાઓનું કલ્યાણ તેમના જીવનની મહત્વાકાંક્ષા હતી. જ્યારે કોમી રમખાણો ફાટી નીકળ્યા ત્યારે, તેણીએ ગાંધીના રાજદૂત તરીકે ઉત્તર-પશ્ચિમ સરહદ, સિંધ અને નૌઆખલી વિસ્તારોનો પ્રવાસ કર્યો. તે વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય કરવા માટે તેણીએ 20 દિવસ સુધી સત્યાગ્રહ કર્યો. સ્વતંત્રતા પછી, તેણીએ પોતાને જાહેર સેવા માટે ફરીથી સમર્પિત કરી. તેણીએ રાષ્ટ્રીય એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે ‘હિન્દુસ્તાન’ નામનું ઉર્દૂ મેગેઝિન પ્રકાશિત કર્યું. જ્યારે ખાન અબ્દુલ ગફાર ખાને 1961માં ભારતનો પ્રવાસ કર્યો ત્યારે તેણીએ તેમની સાથે તેમના અંગત સહાયક તરીકે પ્રવાસ કર્યો. 1962માં જ્યારે ભારત ચીન સાથે અને 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં હતું, ત્યારે તેણીએ આપણા સૈનિકોને પ્રોત્સાહિત કરવા અને તેમની સેવા કરવા માટે તેણીના દત્તક પુત્ર સુનીલ કુમાર સાથે પર્વતો-યુદ્ધના ક્ષેત્રમાં પહોંચવામાં તમામ પીડાઓ સહન કરી હતી. બીબી અમાતુસ સલામ, જેમણે તેમનું આખું જીવન ગાંધીવાદી વિચારધારાને અનુસરી વિતાવ્યું, 29 ઓક્ટોબર, 1985 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment