ભારતીય રાષ્ટ્રીય ચળવળના એક ભાગ તરીકે સામ્રાજ્યવાદી દળો પર તેમની ઉગ્ર કવિતાથી પ્રહાર કરનારા ડૉ. મકદૂમ મોહિઉદ્દીનનો જન્મ 4 ફેબ્રુઆરી, 1908ના રોજ આંધ્ર પ્રદેશના મેડક જિલ્લાના એન્ડોલ ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ અબુ સઈદ મુહમ્મદ મકદૂમ મોહિઉદ્દીન કાદરી હતું. તેમણે બાળપણમાં જ પિતા ગુમાવ્યા. તેમનો ઉછેર તેમના કાકા બશીરુદ્દીનના ઘરે થયો હતો, જ્યાં તેઓ ભારતીય રાષ્ટ્રીય અને સામ્યવાદી ચળવળોથી પરિચિત હતા. તેઓ 1929 માં હૈદરાબાદ પહોંચ્યા જ્યાં તેમણે ગરીબ પરિસ્થિતિ હોવા છતાં 1937 માં ઉર્દૂમાં એમએ પૂર્ણ કર્યું. બાદમાં, તેમણે ઉર્દૂ નાટક પર સંશોધન થીસીસ સબમિટ કરીને તેમની ડોક્ટરેટ પૂર્ણ કરી. તેઓ 1929માં સિટી કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદ અને ફાસીવાદ વિરુદ્ધ કવિતા લખવાનું શરૂ કર્યું, જે 1934માં પ્રકાશિત થઈ હતી. 1936થી સામ્યવાદી પક્ષ સાથે ગાઢ સંબંધ વિકસ્યા,તેથી 1941માં સામ્યવાદ પક્ષની હૈદરાબાદ બ્રાન્ચ ઊભી કરવામાં અહમ ભૂમિકા અદા કરી હતી.ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને ભારતીય સામ્યવાદી ચળવળમાં પોતાને સંપૂર્ણ રીતે સમર્પિત કરવા માટે તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ તેમને જેલવાસ કરવામાં આવ્યો હતો. તેમણે જોયું કે નિઝામ શાસન હેઠળના ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરોના કલ્યાણ માટે કોઈ કાયદા નહોતા. આમ, તેમણે ટ્રેડ યુનિયન ચળવળ શરૂ કરી, જેમાં તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી અગ્રણી ભૂમિકા ભજવી. મકદૂમ મોહિઉદ્દીને ટ્રેડ યુનિયન ચળવળમાં તેમની ભૂમિકા માટે નિઝામ અને બ્રિટિશ શાસકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને સજાઓની ક્યારેય પરવા કરી ન હતી. તેમના લખાણો પર પણ નિઝામ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે ભારતીય સંઘમાં નિઝામની એકીકરણ ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા પછી યોજાયેલી ચૂંટણીમાં તેઓ જીત્યા અને વિધાનસભાના સભ્ય બન્યા. તેમણે વિધાન પરિષદના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું. કવિ તરીકે, મકદૂમે સીમાઓની બહાર પણ ખ્યાતિ મેળવી. તેમની કેટલીક કવિતાઓ અને ગઝલો અનેક હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. એક કવિ, ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા, ટ્રેડ યુનિયનિસ્ટ અને લોકપ્રતિનિધિ તરીકે લોકો દ્વારા પ્રિય એવા ડૉ. મકદૂમ મોહિઉદ્દીનનું 25 ઓગસ્ટ, 1969ના રોજ અવસાન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment