મુખીઉદ્દીન ફારૂકી, જેને લોકો અને તેમના સાથીદારો 'ગાંધીવાદી માર્ક્સવાદી' તરીકે પસંદ કરતા હતા, તેમનો જન્મ 1920માં ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના અંબેહાટામાં થયો હતો. તેમના પૂર્વજોને 1857માં અંગ્રેજો સામે બળવો કરવા બદલ ફાંસીના માંચડે ધકેલવામાં આવ્યા હતા. પાછળથી, તેમના પિતા અને ભાઈઓએ પણ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. 1923માં તેમના પિતા મૌલાના મોઇનુદ્દીનનું અવસાન થયું હોવાથી તેઓ 1927માં તેમના ભાઈ સાથે દિલ્હી રેહવા ગયા હતા. 1934માં સેન્ટ સ્ટીફન કૉલેજમાં જોડાનાર મુખીઉદ્દીન ખાસ કરીને તેમના ખાદી ડ્રેસ માટે જાણીતા હતા. તેમણે જુલાઈ, 1936માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં જવાહરલાલ નેહરુ અને મુહમ્મદ અલી ઝીણાએ હાજરી આપી હતી. તેઓ ક્રાંતિકારીઓના પરિવારમાંથી આવતા હોવાથી,જ્યારે તેઓ વિદ્યાર્થી હતા, ત્યારથી તેમણે 1936થી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં હડતાળની જાહેરાત કરી અને 1940માં જવાહરલાલ નેહરુની ધરપકડના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શનનું આયોજન કર્યું. તેથી તેમને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમની M.A. ની ડિગ્રી પણ રદ કરવામાં આવી હતી. તેઓ 1940માં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી બન્યા. તેમણે ફેડરેશનના વિસ્તરણ માટે કામ કર્યું અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં સભ્યપદ મેળવ્યું. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હોવા છતાં, તેમણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે ભારત છોડો ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના માટે તેમને 14 મહિનાની જેલ કરવામાં આવી હતી. તેઓ રાજકારણના સાંપ્રદાયિકરણના વિરોધી હોવાથી, તેમણે અલગ રાષ્ટ્ર માટે મુસ્લિમ લીગની ચળવળનો સખત વિરોધ કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારની જીતની ઉજવણીનો બહિષ્કાર કરવા લોકોને અપીલ કરવા બદલ બ્રિટિશ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે 1947 માં દેશના વિભાજન પછી કોમી રમખાણો ફાટી નીકળ્યા,ત્યારે તેમણે મહાત્મા ગાંધી અને મૌલાના અબુલ કલામ આઝાદના માર્ગદર્શન હેઠળ સંવાદિતા અને શાંતિ જાળવવા માટે સખત મહેનત કરી. પાછળથી, તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને પૂર્ણ સમય આપવા લાગ્યા. તેમણે જોડાવાનો ઇનકાર કર્યો હોવા છતાં, તેમને ભારત સરકારમાં અનેક માનદ અને બંધારણીય હોદ્દાઓની ઓફર કરવામાં આવી હતી. તેમણે તત્કાલીન વડા પ્રધાન એચડી દેવગૌડા દ્વારા રાજ્યપાલ પદની ઓફર પણ નકારી કાઢી હતી. 1989માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમની M.A.ની ડિગ્રીથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 3 સપ્ટેમ્બર, 1997ના રોજ દિલ્હીમાં એક સભામાં બોલી રહ્યા હતા ત્યારે ખૂબ જ સાદું જીવન જીવતા મુખીઉદ્દીન ફારૂકીએ અંતિમ શ્વાસ લીધા હતા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments
Post a Comment