કેપ્ટન અબ્બાસ અલી, ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાના ખુર્જા ગામમાં 3 જાન્યુઆરી, 1920ના રોજ એક જમીનદાર પરિવારમાં જન્મેલા. તે એક મુસ્લિમ રાજપૂત પરિવારમાંથી હતા જેમણે ક્યારેય અંગ્રેજોની સર્વોપરિતા સ્વીકારી ન હતી. અબ્બાસે ઇંડિયન નેશનલ આર્મીમાં કપ્તાન તરીકે તેમની માતૃભૂમિની મુક્તિ માટે લડત ચલાવી હતી અને સમાજની સમાજવાદી પેટર્નના તેમના ઉદ્દેશ્ય માટે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. જ્યારે તેઓ હાઈસ્કૂલના વિદ્યાર્થી હતા, ત્યારે અબ્બાસ સરદાર ભગતસિંહ અને અન્ય લોકો દ્વારા સ્થાપિત 'નૌજવાન ભારત સમિતિ'ના સભ્ય બન્યા હતા. તેઓ વધુ અભ્યાસ માટે અલીગઢ યુનિવર્સિટી ગયા, જ્યાં તેઓ અન્ય સ્વતંત્રતા સેનાની અને સામ્યવાદી ડૉ. કુંવર અહેમદ અશરફના પ્રભાવ હેઠળ આવ્યા. અબ્બાસે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનમાં સભ્યપદ લીધું. બાદમાં તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં બળવો કરવા માટે ડૉ. અશરફની સલાહ પર બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને 1941માં સિંગાપોર મોકલવામાં આવ્યા હતા. જ્યારે બ્રિટિશ દળોએ પોતાને જાપાની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું ત્યારે અબ્બાસ અલીને યુદ્ધ કેદી તરીકે લેવામાં આવ્યા હતા. બાદમાં તેઓ છેલ્લા મોગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરની કબર પાસે 1943માં સુભાષ ચંદ્ર બોઝે આપેલા ભાષણથી પ્રેરિત થયા હતા. તેમણે માતૃભૂમિની મુક્તિ માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. અબ્બાસ ઈન્ડિયન નેશનલ આર્મીમાં જોડાયા જેમાં તેમને કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી. સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવેલા ‘ચલો દિલ્હી’ કોલના અનુસંધાનમાં તેમને અરકાન યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર સાથે ઇંડિયન નેશનલ આર્મીને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. બ્રિટિશ સેનાએ અબ્બાસની ધરપકડ કરી અને કોર્ટ માર્શલ કર્યા પછી તેમને મૃત્યુદંડની સજા ફટકારી. પરંતુ જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે મૃત્યુદંડની સજા રદ કરવામાં આવી હતી. અબ્બાસે સ્વતંત્ર ભારતમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે આચાર્ય નરેન્દ્ર દેવ, જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. અબ્બાસની 1948 થી 1974 સુધીની રાજકીય કારકિર્દી દરમિયાન 50 થી વધુ વખત ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કટોકટી દરમિયાન 19 મહિના જેલમાં વિતાવ્યા હતા. તેઓ 1978માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. કેપ્ટન અબ્બાસ અલીએ 11 ઓક્ટોબર 2014ના રોજ અલીગઢ ખાતે અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments
Post a Comment